National

દિલ્હી જતી ગરીબરથ ટ્રેનમાં ભીષણ આગ, મુસાફરોએ કૂદીને બચાવ્યો જીવ

 લુધિયાણાથી દિલ્હી જતી ગરીબરથ ટ્રેનની એક બોગીમાં અચાનક આગ લાગી હતી. આ દુર્ઘટના બોગી નંબર-19માં બની હતી જેમાં કેટલાક મુસાફરો સવાર હતા. આગ લાગતા જ ટ્રેનમાં અફરા તફરીનો માહોલ જોવા મળ્યો હતો અને જીવ બચાવવા માટે મુસાફરો ટ્રેનની બહાર કૂદવા લાગ્યા હતા. આ દરમિયાન કેટલાક મુસાફરો ઇજાગ્રસ્ત થયા હતા. બનાવની જાણ થતા જ રેલવે પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. એક કલાકમાં આગ પર કાબુ મેળવીને ટ્રેનને રવાના કરવામાં આવી હતી.

ટ્રેને સવારે 7 વાગ્યે સરહિંદ સ્ટેશનને પાર કર્યું હતું. આ દરમિયાન એક મુસાફરે ટ્રેનની એસી બોગી નંબર 19માં ધૂમાડો જોયો હતો અને તેને તરત જ ચેન ખેંચીને ટ્રેનને રોકી હતી. ધુમાડાની સાથે આગ ફાટી નીકળતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. આ દરમિયાન કેટલાક મુસાફર બોગીમાંથી ઉતરવા લાગ્યા હતા. TTE અને ટ્રેનના પાયલોટ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને આ ઘટનાની જાણ રેલવે કંટ્રોલને આપી હતી.

રેલવે ટીમે તપાસ હાથ ધરી

રેલવે તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદન અનુસાર આજે સવારે સાડા 7 વાગ્યે પંજાબના સરહિંદ સ્ટેશન પર ટ્રેન નંબર 12204 અમૃતસર-સહરસાના એક ડબ્બામાં આગ લાગી હતી. ઘટનાની જાણ થતા જ રેલવે અધિકારીઓએ તરત જ કાર્યવાહી કરતા મુસાફરોને બીજા ડબ્બામાં મોકલી દીધા હતા અને આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. 

પ્રાથમિક તપાસમાં આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું સામે આવ્યું છે છતા પણ રેલવે એન્જિનિયર્સની ટીમ આગ લાગવાનું કારણ તપાસી રહી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button