અબકી વાર NDA ડબલ સેન્ચુરી પાર, બિહારમાં RJD-VIP સાફ, કોંગ્રેસને તો ‘પંજો’ પણ ન મળ્યો


બિહાર વિધાનસભા ચૂંટણીમાં NDA પોતાની લીડ જાળવી રાખતા ભાજપના સમર્થકો ઉજવણી કરી રહ્યા છે. આનો એક વીડિયો સામે આવ્યો છે. NDA 197 બેઠકો પર આગળ છે (ભાજપ 89, JDU 79, LJP(RV) 21, HAMS 4, RLM 4), અને મત ગણતરી ચાલુ છે.
બિહારમાં NDAના જંગી વિજય બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાંજે 6:00 વાગ્યે ભાજપ મુખ્યાલયની મુલાકાત લેશે. બિહાર ચૂંટણીમાં NDAના વિજય બાદ વડા પ્રધાન પક્ષના કાર્યકરોને સંબોધિત કરે તેવી અપેક્ષા છે.NDAની આ જીતમાં સૌથી મોટો માસ્ટરસ્ટ્રોક ચૂંટણીની જાહેરાત પહેલાં બિહાર સરકાર દ્વારા કરવામાં આવેલું ડાયરેક્ટ કેશ ટ્રાન્સફર હતું. ચૂંટણીની જાહેરાત પહેલાં બિહાર સરકારે 75 લાખ મહિલાઓના ખાતામાં સીધા 10 હજાર રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ યોજનાનો પ્રારંભ કર્યો હતો. લાભાર્થી મહિલાઓની સંખ્યા ઝડપથી 1 કરોડને વટાવી ગઈ. મહાગઠબંધને આ રકમને લોન કે ગ્રાન્ટ ગણાવીને લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો, પરંતુ મતદારો પર તેની કોઈ અસર થઈ નહીં.
ડાયરેક્ટ કેશ ટ્રાન્સફરનો આ સફળ પ્રયોગ મધ્ય પ્રદેશ સહિત અન્ય રાજ્યોમાં પણ સફળ રહ્યો છે. તેજસ્વી યાદવે જીવિકા દીદીઓ માટે 30,000 રૂપિયા પગાર અને સરકારી નોકરીની જાહેરાતો કરી, પણ લોકોએ વચન કરતાં રસીદ (પાછળના લાભો) પર વધુ વિશ્વાસ મૂક્યો.
મહિલા મતદારોએ દારૂબંધીને મંજૂરી આપી
નીતિશ કુમારની જીતમાં મહિલા મતદારોએ નિર્ણાયક ભૂમિકા ભજવી છે, જેનું મુખ્ય કારણ દારૂબંધી છે. 2015ની ચૂંટણીમાં મહિલા કાર્યક્રમમાં માંગ ઉઠતા નીતિશ કુમારે સત્તામાં પાછા ફરવા પર સંપૂર્ણ દારૂબંધી લાગુ કરવાનું વચન આપ્યું હતું, જે તેમણે પૂરું કર્યું. દારૂબંધીના અમલ પર સવાલો ઊભા થયા હોવા છતાં, નીતિશ કુમાર અડગ રહ્યા. પ્રશાંત કિશોરે સરકાર બનવા પર દારૂબંધી ખતમ કરવાની વાત કરી હતી. જો કે, જનાદેશ સ્પષ્ટ દર્શાવે છે કે બિહારના લોકો, ખાસ કરીને મહિલાઓ, દારૂબંધી યથાવત્ રહે તેવું ઇચ્છે છે.
‘સુશાસન બાબુ’ની છબી પર વિશ્વાસ
2002થી નીતિશ કુમારે લોકોમાં ‘સુશાસન બાબુ’ તરીકેની જે છબી બનાવી છે, તે પરિણામોમાં સ્પષ્ટપણે જોવા મળી છે. બિહારમાં વીજળી વ્યવસ્થામાં સુધારો અને રાજ્યના દરેક ખૂણા સુધી પહોંચતા સારા રસ્તાઓએ લોકોને વિશ્વાસ અપાવ્યો કે વિકાસની ગતિ ચાલુ રહેશે.
ચૂંટણી પહેલાં હત્યાની ઘટનાઓથી કાયદો અને વ્યવસ્થા અંગે સવાલો ઊભા થયા હતા, પરંતુ નીતિશ કુમારે ભાજપ સાથે મળીને ‘જંગલ રાજ’ની યાદ અપાવી અને વિપક્ષના આ મુદ્દાને તટસ્થ કરી દીધો. આ ઉપરાંત નીતિશ કુમારની છબી ‘પલટુ રામ’ તરીકે બનાવવામાં આવી હોવા છતાં, તેમના કાર્યના આધારે JDU નેતાએ બધા સવાલોના જવાબ આપી દીધા છે.



