આજે વડોદરામાં ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાશે 2026ની પહેલી વનડે

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની ODI સીરીઝ આજે 11 જાન્યુઆરીથી શરૂ થઈ રહી છે. આ સીરીઝની પહેલી મેચ વડોદરાના BCA સ્ટેડિયમમાં રમાશે. આ મેચ ખૂબ જ ખાસ રહેવાની છે, કારણ કે આ ભારતીય ટીમની વર્ષ 2026ની પહેલી મેચ હશે. અને બંને ટીમો આ સીરીઝ જીતીને 2026ની શરૂઆત સકારાત્મકતા સાથે કરવા માંગશે.
સાથે જ વડોદરામાં રમાનારી આ મેચમાં, બધાની નજર ફરી એકવાર વિરાટ કોહલી અને રોહિત શર્મા પર રહેશે. વિરાટ અને રોહિત બંને ટેસ્ટ અને T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યા છે. ત્યારે ચાહકો ODI મેચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, જેમાં બંને ખેલાડીઓએ તાજેતરમાં અસાધારણ રીતે સારું પ્રદર્શન કર્યું છે.
આ મેચ એટલા માટે પણ ખાસ રહેવાની છે કે કેપ્ટન શુભમન ગિલ અને શ્રેયસ ઐયરની ભારતીય ટીમમાં વાપસી થઈ છે, જ્યારે કિવી ટીમમાં કેટલાક નવા ચહેરા જોવા મળશે. તેથી, બધા તેમના પ્રદર્શન પર નજર રાખશે. વડોદરાના આ ગ્રાઉન પર આ પહેલા માત્ર ભારતીય મહિલા ટીમની મેચ રમાઈ છે, સાથે જ ઘરેલુ ટુર્નામેન્ટની પણ કેટલીક મેચ મેચ રમાઈ છે. પરંતુ ભારતીય મેન્સ ક્રિકેટ ટીમ પહેલી વાર કોટાંબી સ્ટેડિયમમાં કોઈ મેચ રમવા ઉતરશે. એવામાં આ મેચ રોમાંચક થવાની આશા છે.
ભારતીય ટીમે વડોદરાના BCA સ્ટેડિયમમાં હજુ સુધી એક પણ ODI રમી નથી, તેથી બધાની નજર પીચના મિજાજ પર ટકેલી છે. આ સ્ટેડિયમમાં ત્રણ મહિલા ODI મેચ રમાઈ છે, જેમાં પહેલા બેટિંગ કરનારી ટીમે બે મેચ જીતી છે, જ્યારે ટાર્ગેટ ચેઝ કરતી ટીમે એક મેચ જીતી છે. પીચની વાત કરીએ તો, એવી અપેક્ષા રાખવામાં આવી રહી છે કે આ પીચ બેટિંગ માટે ખૂબ જ અનુકૂળ રહેશે, જેના કારણે ટીમ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લઈ શકે છે. આનું એક મુખ્ય કારણ શોર્ટ બાઉન્ડ્રી પણ છે, જેનાથી બેટ્સમેન સરળતાથી મોટા શોટ રમી શકે છે. તેથી, એવી અપેક્ષા રાખવામાં આવી રહી છે કે પહેલા બેટિંગ કરનારી ટીમ 300થી વધુ રન કરી શકશે, પરંતુ તેનો બચાવ કરવો સરળ નહીં હોય.




