અમદાવાદના વસ્ત્રાપુરમાં ભીષણ આગ, 100 લોકોનું સુરક્ષિત રૅસ્ક્યૂ, જાણો શું છે સ્થિતિ


અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તાર એવા વસ્ત્રાપુરમાં આવેલી પ્રખ્યાત ITC નર્મદા હોટલની બાજુમાં સ્થિત ‘શિવાલિક’ બિલ્ડિંગમાં આજે બપોરે અચાનક આગ લાગતા ભયનો માહોલ સર્જાયો હતો. આ બિલ્ડિંગ કોમર્શિયલ હોવાથી આગ લાગી ત્યારે મોટી સંખ્યામાં લોકો હાજર હતા. આગના ધૂમાડાના ગોટેગોટા બિલ્ડિંગના 8મા અને 9મા માળે પ્રસરી જતા ત્યાં કામ કરતા અનેક લોકો ફસાઈ ગયા હતા.
આગ અંગેની ઘટનાની જાણ થતા જ અમદાવાદ ફાયર વિભાગની 8થી 10 જેટલી ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર ફાઈટરોએ હાઈડ્રોલિક પ્લેટફોર્મની મદદથી બિલ્ડિંગના ઉપરના માળે ફસાયેલા લોકો સુધી પહોંચવાની કામગીરી શરૂ કરી હતી. અત્યાર સુધીમાં ફાયર બ્રિગેડ દ્વારા અંદાજે 100 જેટલા લોકોનું સુરક્ષિત રીતે રૅસ્ક્યૂ કરવામાં આવ્યું છે.
આગ એટલી ઝડપથી પ્રસરી હતી કે બિલ્ડિંગમાં હાજર લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. ફાયર વિભાગના અધિકારીના જણાવ્યા અનુસાર, આગ પર કાબૂ મેળવવાની કામગીરી ચાલી રહી છે અને હાલમાં કોઈ જાનહાનિના સમાચાર નથી. બિલ્ડિંગમાં ફાયર સેફ્ટીના સાધનો કાર્યરત હતા કે નહીં તે અંગે પણ તપાસ કરવામાં આવશે. પ્રાથમિક દ્રષ્ટિએ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું મનાય છે.
હાલ આગ લાગવાનું ચોક્કસ કારણ બહાર આવ્યું નથી. પ્રાથમિક અનુમાન મુજબ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ફાયર વિભાગ અને પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.




