પેટ્રોલ-ડીઝલની અછત માત્ર અફવા! હર્ષ સંઘવીની મોટી ચેતવણી: “ખોટી માહિતી ફેલાવનાર જેલભેગા થશે”


ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી પેટ્રોલ અને ડીઝલની અછત સર્જાઈ હોવાની વાતો વહેતી થઈ છે, જેના કારણે અનેક શહેરોમાં પેટ્રોલ પંપ પર વાહનચાલકોની લાંબી કતારો જોવા મળી રહી છે. આ પરિસ્થિતિને ગંભીરતાથી લેતા ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ લાઈવ પ્રેસ કોન્ફરન્સ દ્વારા રાજ્યના નાગરિકોને અગત્યની વિનંતી અને કડક સૂચનાઓ આપી છે.
અફવાઓથી દૂર રહેવા અપીલ
હર્ષ સંઘવીએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, રાજ્યમાં પેટ્રોલ-ડીઝલના જથ્થાની કોઈ અછત નથી. નાગરિકોએ સોશિયલ મીડિયા કે વોટ્સએપ પર આવતા ફેક મેસેજથી દોરવાઈને ભાગદોડ કરવાની જરૂર નથી. તેમણે ઉમેર્યું કે, “ઑફિશિયલ જાણકારી વગર ખોટી રીતે સમય ન વેડફો, રાજ્ય સરકાર ઈંધણના સપ્લાય પર ડેલી નિરીક્ષણ કરી રહી છે.”
કડક કાર્યવાહીના આદેશ
ખોટી માહિતી ફેલાવનારા તત્વો સામે લાલ આંખ કરતા મંત્રીએ જણાવ્યું કે, જે લોકો સોશિયલ મીડિયામાં અફવાઓ ફેલાવી રહ્યા છે તેમની સામે કડક કાયદાકીય પગલાં લેવામાં આવશે. આ અંગે મુખ્ય સચિવ અને DGPને સ્પષ્ટ સૂચના આપી દેવામાં આવી છે કે કોઈપણ પ્રકારની કાળાબજારી કે અફવા ફેલાવનારને છોડવામાં ન આવે.
રાજ્ય સરકાર આ મામલે ખૂબ ગંભીર છે. મુખ્યમંત્રી પોતે દર બે દિવસે સ્થિતિનો રિવ્યૂ લઈ રહ્યા છે. આજે બપોરે જ એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજવામાં આવી હતી, જેમાં સપ્લાય ચેઈન અને એજન્સીઓની કામગીરીની સમીક્ષા કરાઈ હતી. હર્ષ સંઘવીએ ખાતરી આપી છે કે કેન્દ્ર સરકાર સાથે સતત સંપર્ક ચાલુ છે અને રાજ્યમાં પૂરતી વ્યવસ્થાઓ ગોઠવાયેલી છે.
નાગરિકોને ખાસ વિનંતી
રાજ્યના તમામ નાગરિકોને વિનંતી છે કે ઑફિશિયલ નિવેદન સિવાય કોઈપણ વાત પર ધ્યાન ન આપવું. જો કોઈ એજન્સી કે વ્યક્તિ નાગરિકોને તકલીફ આપે અથવા ગેરરીતિ કરે, તો તેની વિરુદ્ધ ગંભીરતાપૂર્વક કાર્યવાહી કરવામાં આવશે.




