હવે ભ્રષ્ટાચારીઓનું આવી બન્યું, સરકારે લીધો મોટો અને મહત્વનો નિર્ણય


ગુજરાત સરકારના પંચાયત વિભાગે રાજ્યમાં પારદર્શિતા અને જવાબદારી વધારવા માટે મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગુજરાત પંચાયત અધિનિયમ, 1993 હેઠળ નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે જેમાં ભ્રષ્ટાચાર અને ગેરરીતિના આરોપોને લઈ સખત કાર્યવાહી માટેની જોગવાઈઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
નવા નિયમો મુજબ કોઈપણ નાગરિક ભ્રષ્ટાચાર સહિતની ફરિયાદ કરી શકે છે. ફરિયાદીએ સંબંધિત પુરાવાઓ સાથે અરજી જિલ્લા પંચાયત અથવા વિકાસ કમિશનર સમક્ષ રજૂ કરવી રહેશે. ફરિયાદ પ્રાપ્ત થયા બાદ જો પ્રાથમિક તપાસ દરમિયાન ફરિયાદ યોગ્ય જણાય તો સંબંધિત અધિકારી સામે તપાસ શરૂ કરવામાં આવશે. અધિકારીને શો કોઝ નોટિસ આપી જવાબ માગવામાં આવશે અને યોગ્ય તાપસ પ્રક્રિયા હાથ ધરાશે.સરકાર દ્વારા જાહેર કરાયેલા નિયમોમાં એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, જો કોઈ વ્યક્તિ વારંવાર ખોટી અથવા અસત્ય ફરિયાદો કરશે તો તેના સામે પણ કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
પંચાયત વિભાગે જણાવ્યું છે કે, આ નવા નિયમોનો હેતુ સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓમાં સ્વચ્છ શાસન, પારદર્શિતા અને જવાબદારી સુનિશ્ચિત કરવો છે. નવા નિયમો સાથેનું વિગતવાર જાહેરનામું પંચાયત વિભાગ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.




