ભાવનગરના ચકચારી ટ્રિપલ મર્ડર કેસને પોલીસે કલાકોમાં ઉકેલ્યો, જાણો આખો ઘટનાક્રમ


ભાવનગર શહેરમાં રુંવાડા ઊભા કરી નાખે તેવી ઘટના બની હતી. ભાવનગર વન વિભાગમાં આસિસ્ટન્ટ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ તરીકે ફરજ બજાવતા શૈલેષ ખાંભલાનાં પત્ની, પુત્ર અને પુત્રીના મૃતદેહો મળ્યા હતા. આ ત્રણેય હત્યા બીજા કોઈએ નહીં, પરંતુ ખુદ ફોરેસ્ટ અધિકારીએ જ કરી હોવાનું પોલીસ તપાસમાં ખૂલ્યું છે. આ અંગે ફોરેસ્ટ અધિકારીએ જ 7 નવેમ્બરે પોલીસ મથકમાં જઈને ફરિયાદ કરી હતી કે, પાંચમી નવેમ્બરે મારા પત્ની, પુત્રી અને પુત્ર ગુમ થઈ ગયા હતા. આ દરમિયાન 16 નવેમ્બરે એક અવાવરુ સ્થળે ત્રણેયના મૃતદેહ જમીનમાં દાટી દીધેલી સ્થિતિમાં મળતા ચકચાર મચી ગઈ હતી. બાદમાં પોલીસે આ ત્રણેય મૃતદેહનો કબજો લઈ પીએમ માટે મોકલીને આગળની તપાસ હાથ ધરી હતી.
શૈલેષ ખાંભલા મૂળ સુરતના વતની છે. તેઓ ભાવનગર વન વિભાગમાં આસિસ્ટન્ટ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ તરીકે ફરજ બજાવતા હતા. જો કે, શૈલેષ ખાંભલાની ઈચ્છા હતી કે, તેમના પત્ની અને સંતાનો સુરતમાં સાસરે જ રહે, પરંતુ પત્નીને તેમની સાથે ભાવનગરમાં રહેવું હતું. આ મુદ્દે તેઓ વચ્ચે અવારનવાર ઉગ્ર ઝઘડો થતો. આ દરમિયાન 27 ઓક્ટોબરે તેમના પત્ની નયનાબહેન સુરતથી સંતાનોને લઈને ભાવનગર રજાઓ ગાળવા આવ્યા હતા. ત્યારે તેઓ વચ્ચે ફરી એકવાર વિવાદ થતા આ હત્યાઓ થઈ હોવાનું પ્રાથમિક તપાસમાં ખૂલ્યું છે.
આ ત્રણેય હત્યા કેવી રીતે થઈ હતી?
પોલીસને પ્રાથમિક તપાસમાં શંકા છે કે, શૈલેષ ખાંભલાએ અચાનક ગુસ્સામાં નહીં, પરંતુ પૂર્વાયોજન કરીને જ આ હત્યાઓ કરી છે. તેનું કારણ એ છે કે, હત્યા કરતા પહેલા તેણે પહેલી અને બીજી નવેમ્બરે અવાવરુ સ્થળે ખાડા કરાવ્યા હતા. આ પહેલા ત્યાં એક જ ખાડો હતો. બીજી તરફ, પોલીસે નોંધ્યું હતું કે, પરિવારના ત્રણેય સભ્યની હત્યા પછીયે શૈલેષ ખાંભલાના ચહેરા પર કોઈ લાગણી કે ગુસ્સો નહોતો દેખાતો. આ સ્થિતિએ પોલીસને શંકા ઉપજાવી હતી. તેની પૂછપરછમાં પણ તેને કોઈ પસ્તાવો ન હતો. આમ, આ હત્યાઓ ઠંડા કલેજે કરાયેલી છે. એટલું જ નહીં, ખાડામાં પાણી ભરાઈ જતા તેણે મૃતદેહોને પથ્થર સાથે બાંધીને તેના પર ગાદલાં નાંખ્યા હતા અને બાદમાં ખાડા પૂર્યા હતા. આ કામમાં તેણે કેટલાક કર્મચારીઓની પણ મદદ લીધી હતી.




