ગાંધીનગરના પેથાપુરમાં સરકારી જમની પરની બે દરગાહ કરાઈ દૂર, વક્ફ બોર્ડમાં હતી રજિસ્ટર્ડ


પાટનગર ગાંધીનગરને દબાણ મુક્ત કરવા માટે પાટનગર યોજના વિભાગ અને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંયુક્ત રીતે મેગા ડિમોલિશન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ગાંધીનગરના પેથાપુર ખાતે સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે ઉભા કરાયેલા દબાણો પર વહીવટીતંત્રએ સખત કાર્યવાહી કરી છે. પ્રશાસને સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે વકફ બોર્ડમાં નોંધાયેલી મોટી અને નાની દરગાહોના ગેરકાયદેસર કબજાને હટાવી દીધા છે. આ કાર્યવાહી અંતર્ગત શહેરના સેક્ટર 1 થી ૩0 માં આવેલા 1400 થી વધુ ગેરકાયદેસર ઘર-ઝૂંપડાંના દબાણો પર બુલડોઝર ફેરવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
આ 1400થી વધુ દબાણકર્તાઓને તંત્ર દ્વારા અગાઉ નોટિસો પાઠવવામાં આવી હતી. જોકે, નોટિસોનો કોઈ સંતોષકારક જવાબ ન મળતા અથવા દબાણો સ્વૈચ્છિક રીતે દૂર ન કરાતા તંત્રએ આખરે આ દબાણો તોડી પાડવાનો તખ્તો ઘડી કાઢ્યો છે. આ મેગા ડિમોલિશનની કાર્યવાહી દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે 150 પોલીસ જવાનોનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
બીજી તરફ આ વિસ્તારોમાં વર્ષોથી વસવાટ કરતા રહેવાસીઓમાં તંત્રની આ કાર્યવાહીને લઈને રોષ જોવા મળી રહ્યો છે. રહેવાસીઓનું કહેવું છે કે તેમને હટાવતા પહેલા તંત્ર દ્વારા કોઈ વૈકલ્પિક વ્યવસ્થા પુરી પાડવી જોઈએ. જોકે, આ સમગ્ર દબાણ હટાવ ઝુંબેશ અંગે તંત્ર દ્વારા કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
તંત્ર દ્વારા અન્ય વિસ્તારોમાં પણ ગેરકાયદેસર દબાણો હટાવવાની તૈયારીઓ ચાલી રહી છે. જેમાં ઘ-7 સર્કલ પાસે, પ્રેસ સર્કલ નજીકના વિસ્તાર અને સેક્ટર-24 ખાતે આવેલા ૩00થી વધુ ગેરકાયદેસર દબાણોનો પણ સમાવેશ થાય છે.અત્રે ઉલ્લેખનીય છે કે, આ અગાઉ પણ તંત્ર દ્વારા ચરેડી ફાટકથી GEB તરફના માર્ગ પર અને પેથાપુર આસપાસના 900થી વધુ ઝૂંપડાંના દબાણો તોડી પાડવામાં આવ્યા હતા.




