પ્રજ્ઞાચક્ષુ આધેડને માર મારવો ભારે પડી ગયો, ચાંગોદરના PSI સોનલને ઉચ્ચ અધિકારીઓએ કર્યા સસ્પેન્ડ


પ્રજ્ઞાચક્ષુ આધેડને યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં જઈને માર મારનારી ચાંગોદર ની મહિલા પી.એસ.આઇ સોનલ રાઠોડને અમદાવાદ ગ્રામ્ય એસપીએ સસ્પેન્ડ કરી દીધા છે. અમદાવાદ ગ્રામ્ય એસપી ઓમ પ્રકાશ જાટે ગુજરાત સમાચાર સાથે વાતચીત કરતા જણાવ્યું કે, સોનલ રાઠોડ એ થોડાક દિવસ પહેલા કરેલી મારામારીને લીધે એની સામે પગલાં લેવામાં આવ્યા છે જેમાં તેમને તેમની ફરજ પરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
મામલો શું હતો?
થોડા દિવસ પહેલા પડીકું તોડનારા બાળકને સામાન્ય ટપલી મારનારા એક પ્રજ્ઞાચક્ષુ આધેડને ચાંગોદર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી PSI સોનલ રાઠોડે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં આવીને પ્રજ્ઞાચક્ષુ આધેડને ઢોર માર માર્યો. જેમાં પીડિત વ્યક્તિને આંખમાં ગંભીર રીતે મારતા તેમને હોસ્પિટલ દાખલ કરાયા હતા. જેના બીજા દિવસે મહિલા PSIએ આ બાબત મીડિયામાં પ્રકાશિત થયા બાદ ભીનું સંકેલવા અને રેલો આવતા સમાધાન કરવા માટે ધમપછાડા કર્યા હતાં.
ઉલ્લેખનીય છે કે, આ ઘટનાને 24 કલાકથી વધુ સમય થયો છતાં પીડિત પ્રજ્ઞાચક્ષુની ફરિયાદ પોલીસ દ્વારા નોંધવામાં આવી નહોતી. પ્રજ્ઞાચક્ષુ ગોપાલભાઈ દરજીએ એક દિવસ પહેલા તેમના ગલ્લે એક બાળકે પેકેટ તોડી રહ્યો હોવાની આશંકા રાખીને ટપલી મારી હોવાથી તેમને યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ખાતે 7 કલાકથી વધુ સમય બેસાડી રાખવામાં આવ્યા હતા. આ પછી પોલીસ સ્ટેશનમાં જ આ અરજી અંગે સમાધાન કરવા બાળકની માતા પોલીસ સ્ટેશન આવી રહી હોવાનું કહીને રાહ જોવડાવવામાં આવી હતી.
ઘટનાના દિવસે કલાકો વિત્યા બાદ ચાંગોદરમાં ફરજ બજાવતી મહિલા PSI સોનલ રાઠોડે સાંજે આવીને કહ્યુ કે, ‘ક્યાં છે મારા છોકરાને મારનાર’, અને પ્રજ્ઞાચક્ષુને લાતો, લાફા અને લાકડીના ફટકા માર્યા હતા. આ પછી આધેડને હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા હતા. બીજા દિવસે તેમણે હોસ્પિટલમાંથી રજા આપ્યા બાદ મહિલા PSI માફી માગવાના બહાને સમાધાન કરવા તેમના ઘરે આવી હતી, અને પોતે આવું કર્યું હોવાનું સ્વીકાર્યું હતું. એ પછી ત્યાં ગુજરાત સમાચારની ટીમે તેમને સવાલ કરતા ત્યાંથી ઊભી પૂંછડીએ ભાગ્યા હતા.
વેજલપુર પોલીસના કોન્સ્ટેબલે ફરજ પડતી મુકી સમાધાન કરવામાં રસ લીધો
મહિલા PSI સોનલ રાઠોડ પોતે વાંક ગુનામાં હોવાથી તેણે સમાધાન કરવા માટે એડી ચોટીનું જોર લગાવ્યું હતું. જેમાં પહેલા તેણે વેજલપુર પોલીસ સ્ટેશનમાં કેદી જાપ્તાની ફરજ બજાવતા કૃણાલ નામના એક કોન્સ્ટેબલને પ્રજ્ઞાચક્ષુ આધેડના ઘરે મોકલ્યા હતા. અને પોતે બહાર ઊભી હતી. જ્યારે પ્રજ્ઞાચક્ષુ ઘરે આવ્યા ત્યારે તે મહિલા PSI પણ પીડિતના ઘરે આવી હતી, અને સમાધાનની વાત કહેતી હતી.




