મધ્ય પૂર્વના તણાવ વચ્ચે એક્શન મોડમાં સરકાર: અફવાઓ રોકવા PM મોદીની કડક સૂચના


ઈરાન અને મધ્ય પૂર્વ (Middle East) માં ચાલી રહેલા યુદ્ધ અને તણાવની સ્થિતિ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર સંપૂર્ણપણે એક્શન મોડમાં આવી ગઈ છે. બુધવારે મળેલી સુરક્ષા મામલાઓની કેબિનેટ સમિતિ (CCS) ની એક મહત્વપૂર્ણ બેઠકમાં દેશના સામાન્ય નાગરિકોને કોઈ તકલીફ ન પડે તે માટે ખાસ ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં પીએમ મોદીએ ખોટી માહિતી અને અફવાઓ ફેલાવતા રોકવા માટે કડક સૂચનાઓ આપી છે. સાથે જ, દેશમાં કોલસો, ઈંધણ અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓનો પૂરતો ભંડાર હોવાની ખાતરી આપવામાં આવી છે, જેથી લોકોમાં ખોટો ગભરાટ ન ફેલાય અને પરિસ્થિતિ નિયંત્રણમાં રહે.
આંતરરાષ્ટ્રીય સ્તરે જે કટોકટી ચાલી રહી છે, તેની સીધી અસર સામાન્ય માણસ પર ન પડે તે માટે પીએમ મોદીએ તમામ જરૂરી પગલાં લેવા તાકીદ કરી છે. તેમણે ખાસ ભાર મૂક્યો કે સાચી અને સમયસર માહિતી લોકો સુધી પહોંચવી જોઈએ, જેથી ખોટી અફવાઓથી બચી શકાય. આ ખાસ બેઠકમાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, ગૃહમંત્રી અમિત શાહ, નાણામંત્રી નિર્મલા સીતારમણ અને વિદેશ મંત્રી એસ. જયશંકર સહિતના દિગ્ગજ મંત્રીઓ હાજર રહ્યા હતા.
બેઠક દરમિયાન સત્તાધીશો દ્વારા એ ખાતરી આપવામાં આવી હતી કે આગામી મહિનાઓમાં દેશની વીજળી અને ઊર્જાની જરૂરિયાતોને પહોંચી વળવા માટે આપણી પાસે કોલસાનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે. આ ઉપરાંત, અલગ-અલગ જગ્યાએથી LPG અને LNG (ગેસ) નો પુરવઠો સતત મળતો રહે, ઇંધણ પરની ડ્યુટી ઘટાડવા અંગે અને વીજળી ક્ષેત્રને લગતા મહત્વના પગલાંઓ પર પણ ઝીણવટભરી સમીક્ષા કરવામાં આવી હતી.
સરકારે ખેતી, ખાતર, શિપિંગ, ઉડ્ડયન (એવિએશન), લોજિસ્ટિક્સ અને MSME સેક્ટરમાં આવનારા પડકારોનો સામનો કરવા માટેની રણનીતિ પર પણ ચર્ચા કરી છે. સૌથી મોટી વાત એ છે કે, જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવ વધે નહીં અને કોઈ સંગ્રહખોરી કે કાળાબજારી ન કરે તે માટે સરકાર હવે આકરા પગલાં લેવા જઈ રહી છે. બજારમાં આવશ્યક વસ્તુઓના ભાવ સ્થિર રાખવા પર પૂરતું ધ્યાન આપવામાં આવી રહ્યું છે.
કોઈપણ ઈમરજન્સી કે અછતની સ્થિતિનો સામનો કરવા અને રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશો સાથે સતત સંપર્કમાં રહેવા માટે એક ખાસ કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે. દેશના ખેડૂતોને ખાતરની કોઈ કમી ન સર્જાય તે માટે યુરિયાનું ઉત્પાદન સતત ચાલુ રાખવા અને વિદેશી સપ્લાયર્સ પાસેથી DAP/NPKS નો પુરવઠો જાળવી રાખવા માટે પણ સંકલન વધારવા પર ભાર મૂકવામાં આવ્યો છે. ટૂંકમાં, વૈશ્વિક સંકટની અસર દેશવાસીઓ પર ન પડે તે માટે સરકાર તમામ મોરચે તૈયાર છે.




